
મોરબી : તારીખ 13-8-2024નાં રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવ્યો હતો કે, મોરબી નીચી માંડલ ગામે એક કેનાલ પાસે એક પીડિત યુવતી છેલ્લા 16 કલાકથી આંટા ફેરા કરે છે અને કાંઈ પણ બોલતા નથી અને ખૂબ જ રડે છે. તે ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે ત્યાંના લોકોએ પુછપરછ કરી પરંતુ કિશોરી સાચું કહેતી નથી. કિશોરી ચિંતામાં છે તેની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.
જેના પગલે 181 અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ લક્ષ્મીબેન તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા. કિશોરીને ત્યાંના લોકોએ એક વાડીમાં સુરક્ષિત રીતે બેસાડી અને જમાડી હતી. 181 અભયમ ટીમે કિશોરી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કિશોરી ખૂબ જ ગભરાયેલી હતી બેનને સાંત્વના આપી મોટીવેટ કરી હતી. કિશોરીને તેમના ઘરનું સરનામું અને રસ્તો પણ યાદ ન હતો. ઘણા પ્રયત્નો બાદ કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેણીએ જણાવ્યું કે, તેમના માતા-પિતા અને એક ભાઈ તેમજ એક બહેન સાથેના સહ પરિવાર સાથે એક કંપનીમાં મજૂરી કામ કરે છે. ત્યારબાદ કિશોરીએ જણાવ્યું કે, કામકાજ બાબતે તેમના માતા-પિતા ખીજાતા હતાં અને ઢોરમાર મારતાં હતાં.
કિશોરીને તેના માતા પિતા નાની-નાની વાતે માનસિક રીતે ત્રાસ આપતા હતા અને મારઝૂડ કરતાં તેમજ કિશોરી સાથે ગેરવર્તન કરતા હતા અને અપશબ્દો બોલતા હતા. માટે કિશોરી કંટાળીને છેલ્લા સોળ કલાકથી ઘરેથી કોઈને પણ જાણ કર્યા વિના વહેલી સવારે 5 વાગ્યે ચાલતાં ચાલતાં એક કેનાલ પાસે પહોંચી હતી. કિશોરીના માતા-પિતા ઉંચા કોટડા નૈવેદ્ય કરવા ગયા હતા. માટે કિશોરી ઘરે એકલી હતી તેથી અંધારામાં નીકળી ગઈ હતી. ત્યારબાદ 181 ટીમે કિશોરીને આશ્વાસન આપી તેમજ આવી રીતના ક્યારેય પણ ઘરેથી નીકળી ન જવા બાબતે સમજાવી હતી.










