મોરબી: નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અન્વયે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી સરકારશ્રી દ્વારા અનેકવિધ પહેલ કરવામાં આવી રહી છે. પ્રી -વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બેગલેશ ડેના ભાગરૂપે પીએમ શ્રી તાલુકા શાળા નં.2, દરબારગઢ, મોરબીની ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ માટે મે. નાયબ વનસંરક્ષક ચિરાગ અમીનના માર્ગદર્શન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર નરોડિયા સાહેબ (R.F.O)ની સૂચના મુજબ પ્રકૃતિ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.

રામપરા રાઉન્ડ ફોરેસ્ટર જે. કે. ઝાલા તેમજ વનરક્ષક વી.જે.ગોહિલ તથા ટમારીયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને રામપરામાં ઉગતી જંગલની વિવિધ વનસ્પતિઓ, વિવિધ પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓની સમજ આપવામાં આવી હતી. વહેલી સવારે જંગલ ટ્રેઈલ કરાવી પ્રાણીઓના પંજાના નિશાનની સમજૂતી આપી હતી. રાત્રે કેમ્પ ફાયર કરીને વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ કૌશલ્ય નિહાળવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસની ઉજવણીમાં એક એક વૃક્ષ વાવવા પ્રેરણા પૂરી પાડી તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવા કટીબદ્ધ બનવા પ્રતિજ્ઞા લીધી.પ્રકૃતિના ખોળામાં વિદ્યાર્થીઓએ અનુભવજન્ય જ્ઞાન મેળવી અનેરો આનંદ મેળવ્યો. સમગ્ર શિબિરનું સુચારુ આયોજન પીએમ શ્રી તાલુકા શાળા નં.2ના શિક્ષક જાડેજા પ્રહલાદસિંહ અને જુણાચ નફિસાબેન સંભાળ્યું હતું.











