મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં 25 ડિસેમ્બર નાતાલના રોજ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 1000 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સાર્થક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બિઝનેસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બિઝનેસમાં વધુ નફો મેળવવાના હેતુથી નહીં પરંતુ નવા નવા આઈડિયા જે ઈકો ફ્રેન્ડલી કહી શકાય તેવા ઉદ્યોગોનું કન્સેપ્ટ રજુ કરવામાં આવ્યો છે. આ કાર્નિવલમાં કાપડ, ખાણી પીણી સહિતના કુલ 25 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ સાથે જ આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન કાર્યક્રમો યોજવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2015-16માં એડમિશન લીધું હોય અને 2021માં જેમને ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા 400 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, 2015માં સાર્થક વિદ્યા મંદિરની સ્થાપના થઈ ત્યારથી 25 ડિસેમ્બર નાતાલના રોજ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી લોકોમાં તુલસીનું આયુર્વેદિક મહત્વ સમજે તથા પ્રકૃતિ તરફ દોરાઈ એ માટે તુલસી દિવસની સ્થાપના કરવામાં આવે છે. આ સાથે વર્ષ 2017થી જે વ્યક્તિઓ સ્વસ્થ બાબતે સેવાકીય કાર્ય કરતા હોય તેમને તુલસી સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 60 જેટલી સંસ્થા અને વ્યક્તિઓનું તુલસી સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યું છે.











