મોરબી જિલ્લામાં મજુર અદાલત બનાવવા, સીવીલમાં ફેફ્સાંના નીષ્ણાત તબીબની નીમણુંક કરવા, સીલીકોસીસ દર્દીઓને અંત્યોદય કાર્ડ કાઢી આપવા સહિતની માંગ
મોરબી : મોરબીના સીલીકોસીસ પીડીત સંઘના સભ્યો દ્વારા પડતર પ્રશ્નોને લઈને કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં કલેકટર દ્વારા આવતા મહિને બેઠક કરવાની તેમજ પ્રશ્નોના નિરાકરણ લાવવાનું જણાવવામાં આવ્યું હતું. 07/01/2025ના રોજ સંઘે જે માંગણી રજુ કરી હતી. તે પૈકી ઓકસીજન કોંસ્ન્ટ્રેટરની વ્યવસ્થા કલેક્ટરને કારણે થઇ શકી છે. વળતર દાવા માટે મફત કાનુની સહાય માટે થોડી માથાકુટ પછી વકીલ ફાળવવામાં આવ્યા. તે સફળતાથી પ્રેરાઇને સંઘના સભ્યો બાકીની માગણીઓ માટે પણ કલેક્ટર હસ્ત્ક્ષેપ કરે તેવી આશા અને અપેક્ષાથી રજુઆત કરવા ગયા હતા. સંઘે રજુ કરેલ માગણીઓમાં મોરબી જીલ્લામાં મજુર અદાલત, મોરબી સીવીલમાં ફેફ્સાંના નીષ્ણાત તબીબની નીમણુંક કરવા બાબત, સીલીકોસીસ દર્દીઓને અંત્યોદય કાર્ડ કાઢી આપવા બાબત, અપંગોને મળતા લાભ સીલીકોસીસ દર્દીઓને પણ આપવા બાબત, સીરામીક એકમોમાં કારખાના કાયદાના ચુસ્ત અમલ બાબત રજુઆત કરી હતી
સંઘના સક્રિય સભ્ય સીલીકોસીસ દર્દી હરીશભાઈએ જણાવ્યું કે 7 જાન્યુઆરીએ સંઘના સભ્યો કલેક્ટરને રજુઆત કરવા ગયા હતા ત્યારે અમારી સાથે સાથી જગદીશભાઈ સોલંકી (ઉમર 42 વર્ષ) પણ હતા. કાળમુખો સીલીકોસીસ આ દરમીયાન એમને ખાઇ ગયો. તા. ૨૦/૨/૨૦૨૫ના રોજ રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે તેમનું દુખદ અવસાન થયું. જગદીશભાઇ જે કારખાનામાં કામ કરતા હતા તેનું ન તો ઓળખ કાર્ડ કે ન પગાર પાવતી કે ન અન્ય કોઈ આધાર પુરાવા હતા. હવે તેમનું કુટુંબ કર્મચારી વળતરધારા હેઠળનો દાવો કઈ રીતે કરી શકશે? સંઘના મહીલા સભ્યે ફરીયાદ કરતાં જણાવ્યું કે મોરબીના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધીકારી અમારા જેવા મજુરોની કશી મદદ કરતા નથી. મોરબી જીલ્લામા સીલીકોસીસ પીડીતોનો આંકડો 102 છે જે પૈકી 40 નો સીલીકોસીસનો ભોગ લીધો છે અને અન્ય બીજા જીવીત દર્દીઓને ઘરનું ગુજરાન કરવામા ફાંફા પડી રહ્યા છે. કલેક્ટરએ સંઘના સભ્યોને યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી અને સંઘના સભ્યો સાથે આગામી મહીનામાં મીટીંગ કરવાની પણ બાંહેધરી આપી હતી.










