મોરબી : રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં બે દિવસ પહેલા
સિલિન્ડરે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ભાવ વધારા સામે આજે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાથમાં બેનરો લઈને ગેસ સિલિન્ડરના ભાવનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ ભાવ વધારો પરત ખેંચવા ઉગ્ર માગ કરવામાં આવી હતી.
આ અંગે આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે જેનાથી રોજનું કમાઈને રોજ ખાતા લોકોને આ મોંઘવારીનો માર સહન કરવો પડશે. જો રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર 450 રૂપિયામાં મળતો હોય તો ગુજરાતમાં કેમ 850 રૂપિયામાં મળી રહ્યો છે. ગુજરાતની જનતા વર્ષોથી ભાજપની સરકાર ચૂંટતી આવી છે તો ગુજરાતની જનતાને પણ ઓછા ભાવમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે. તાત્કાલિક આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માગ કરવામાં આવી છે.













