મોરબીમાં મનપા આયોજિત કાર્યક્રમમાં જય વસાવડાના વાંચન વૈવિધ્યને મોટી સંખ્યામાં લોકોએ રસપૂર્વક માણ્યું
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વાંચવું એટલે જગત જીતવું ! વિષય પર જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જય વસાવડાએ કહ્યું હતું કે, બધા લોકો ક્યારેકને ક્યારેક પોતાના હિત ખાતર હિતલક્ષી વાંચન કરતા હોય છે. પણ સારા અને ઉમદા વાંચનથી માનવ જીવન સમૃદ્ધ બને છે. હાલમાં જે વિકટ માનસિક સ્થિતિ છે. તેમાંથી બહાર નીકળવા માટે સારું વાંચન એજ રામબાણ ઈલાજ છે.આથી સારા વાંચન પ્રત્યે જાગૃતિ આવી જોઈએ.તેથી જ આપણે સૌ મન તંદુરસ્તીની અનુભૂતિ કરી શકીશું.
જય વસાવડાના વાંચન વૈવિધ્યને ધારાસભ્ય દુર્લભભાઈ દેથળીયા આ ઉપરાંત ડી.સી.એફ. ચિરાગ અમીન, જિલ્લા પુરવઠા અધિકારી જૈમીન કાકડીયા, ડેપ્યુટી ડી.ડી.ઓ. ભટ્ટ, મહાનગર પાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશ્નર સંજય સોની, કુલદીપસિંહ વાળા સહિતના મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને માણ્યું હતું. જય વસાવડાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તે સારી બાબત છે. આવા કાર્યક્રમો થવા જોઈએ. લોકોને વાંચન પ્રત્યે રસ વધે અને લોકો કોઈપણ ગમતા પુસ્તકો વાંચે અને લાઈબ્રેરીનો પણ ઉપયોગ કરે તે અત્યારની સ્થિતિ મુજબ જરૂરી છે. તેમણે કેવા પ્રકારનું વાંચન કરવું જોઈએ તેનો ગુણધર્મ સમજાવ્યો હતો.
કટાર લેખક અને જાણીતા વક્તા જય વસાવડાએ વધુમાં કહ્યું હતું કે, વાંચન પ્રત્યે જાગૃતિ અવવી જ જોઈએ. આથી દરેક માણસે હમેશા જીવનને નવો આયામ મળે તે પ્રકારનું સાહિત્ય રસપૂર્વક માણવું જોઈએ.વાંચનથી જીવનને એક નવી દિશા મળે છે. લાઈબેરીમાં જગતભરનું જ્ઞાન ઉપલબ્ધ હોય છે. તેમાંથી કેવા પ્રકારનું જ્ઞાન વાંચવું એ માણસે નક્કી કરવું જોઈએ.દરેક માણસમાં વાંચન ભૂખ હોય છે. પણ રસનું ક્ષેત્ર ન મળતા માણસને એ વાંચન કંટાળાજનક લાગે છે. આથી લોકોએ પહેલા પોતાનામાં વાંચન રસ જગાડવો જોઈએ અને દરેક પ્રકારનું વાંચન કરશે તો લોકોની માનસિકતામાં ઘણો જ સુધારો થશે.













