મચ્છુ-2માં હાલ પાણી ઉપાડવા માટે 10 જેટલી મોટર કાર્યરત હોય પાણીના ધાંધિયા થતા હોવાથી 18 મોટર લગાવવાની તાકીદ કરી
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના દરવાજાનું ઘણા સમયથી રીપેરીંગ કામ ચાલતું હોવાને કારણે તેમજ નર્મદા કેનાલ પણ રિપેરીગ કામ પાણીના ધાંધિયા થતા હોવાથી પ્રજા દુઃખી દુઃખી થઈ ગઈ છે. ઘણા વિસ્તારમાં પાણી વિતરણ અનિયમિત થતું હોય તેમજ અમુક વિસ્તારમાં પાણી વિતરણના કોઈ ઠેકાણા જ ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદ ઉઠતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આજે ડેમના રિપેરીગ અને પાણી વિતરણનું સાચું ચિત્ર જાણવા મચ્છુ ડેમ ખાતે દોડી ગયા હતા અને મચ્છુ ડેમ ભરપુર હોવા છતે પાણીએ પ્રજાને કેમ દુઃખી કરો છો તેમ કહી ધારાસભ્યએ અધિકારીઓને આડે હાથ લઈ તતડાવી નાખ્યા હતા. તેમજ મચ્છુ-2માં હાલ પાણી ઉપાડવા માટે 10 જેટલી મોટર કાર્યરત હોય પાણીના ધાંધિયા થતા હોવાથી 18 મોટર લગાવવાની તાકીદ કરી છે.
મચ્છુ ડેમ ખાતેની બેઠકમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર કિરણ ઝવેરી તેમજ સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ અને ડેમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ 10 મોટર દ્વારા પાણી ઉપડવામાં આવી રહ્યું હોય, એ મુદ્દે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અધિકારીઓને ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે પૂરું પાણી છે છતાંય ગામને દુઃખી કરવાનું છે ? તાત્કાલિક 18 મોટર દ્વારા પાણી ઉપાડી વિતરણ કરાવવામાં આવે તેવી તેઓએ સૂચના આપી હતી.
વધુમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે ડેમ ભર્યો હોય ત્યારે દબાણથી પાણી આવતું હોય છે. પણ હાલ ડેમમાં પાણી ઓછું છે. ક્યારેક મોટર બંધ થાય અથવા લાઈટ બંધ થાય ત્યારે તકલીફ સર્જાય છે. હાલ 10 મોટર મુકાયેલી છે. 18 જેટલી મોટર મુકવા જણાવ્યું છે. લોકોને ઓછી તકલીફ પડે તેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે દરવાજાની કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઈન 21 જૂન હતી. પણ ચોમાસુ વહેલુ ચાલુ થવાની શક્યતાને પગલે 5 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવાની સૂચના આપી છે. 20 દિવસ ચાલે તેટલું પાણી છે તે પહેલ નર્મદા કેનાલ ચાલુ થઈ જવાની છે એટલે પાણી પૂરતું છે. માત્ર પ્લાનીંગનો અભાવ હતો. જે અંગે પાણી પુરવઠા બોર્ડને સૂચના આપી છે. તે બેથી ત્રણ દિવસમાં પાણી પૂરેપૂરૂ ઉપાડી ફરિયાદનું નિરાકરણ લાવશે.
ડેમના અધિકારીએ જણાવ્યું કે 33માંથી 18 દરવાજાનું કામ સંપૂર્ણ પૂર્ણ કરી લીધું છે. 15 દરવાજા રિપ્લેસમેન્ટનું કામ ચાલુ છે.તેમાં પણ 5 દરવાજાનું કામ પૂરું થઈ ગયુ છે. 10ની કામગીરી ચાલુ છે. આવતા 20થી 25 દિવસમાં ચોમાસા પૂર્વે સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી નાખવાનું આયોજન છે.
પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર મહેશ ધામાએ જણાવ્યું કે ધારાસભ્યની સૂચના અન્વયે જ્યાં મશીજરી વધારવાની જરૂર છે ત્યાં બેથી ત્રણ દિવસમાં મશીનરી મુકાવી પ્રશ્નનું નિરાકરણ લાવીશું. અત્યારે મહાપાલિકાની 3 અને પાણી પુરવઠાની 3 મશીનરી ઉતરેલી છે. બન્ને દ્વારા 50-50 એટલે કે કુલ 100 mld પાણી ઉપડવમાં આવે છે.












