
લાતીપ્લોટમાં પાણી ભરાતા નીકળી શકાય એમ ન હોવા છતાં મનપા કોઈ પગલાં ન ભરતા કોંગ્રેસે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો
મોરબી : મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટની વર્ષોથી ઘોર દુર્દશા છે. અગાઉ નગરપાલિકાએ લાતીપ્લોટને સુવિધાઓ આપવામાં ઘોર ઉપેક્ષા કરી છે.હવે મહાનગરપાલિકાએ પણ લાતીપ્લોટમાં સુવિધાઓ આપવામાં કોઈ ધ્યાન ન આપતા આ ઔદ્યોગિક વિસ્તારની હાલત દિનપ્રતિદિન કપરી બનતી જાય છે.આથી આજે પાણી ભરાવવાની સમસ્યા વિકટ બનતા કોંગ્રેસે દોડી જઈને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરી તાત્કાલિક ધોરણે આ પ્રશ્ન હલ કરવાની માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લાતીપ્લોટમાં લાંબા સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી આ ઔદ્યોગિક વિસ્તારના લઘુ ઉધોગકારો અને વેપારીઓને પારાવાર મુશ્કેલી પડે છે. હમણાં કમો વરસાદ પડ્યો હતો તેમજ ગટર પણ ઉભરાતી હોય આ સામાન્ય વરસાદમાં પણ હજુ સુધી પાણી ભરેલા છે તેમાંય લાતીપ્લોટની સ્થિતિ દયનિય છે. વાહન નીકળી શકે એમ ન હોવાથી માલ પરિવહનને અસર પડી છે. હાલત કપરી છે. આજે આ વિસ્તારમાં દોડી જઈને વેપારીઓને પડતી મુશ્કેલી અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે. મ્યુનિસિપલ કમિશનર સારી કામગીરી કરે છે. પણ લાતીપ્લોટના પ્રાણ પ્રશ્નોને હલ કરવાનો પ્રયાસ કરવો જરૂરી છે. લાતીપ્લોટના વેપારીઓ વર્ષોથી ટેક્સ ભરે છે .પણ સામે વર્ષોથી એકપણ સારી સુવિધા મળી નથી. શુ લાતીપ્લોટના લઘુ ઉધોગકારોનો ટેક્સ ભરવા જ જન્મ થયો છે તેવો બળાપો ઠાલવ્યો હતો.










