સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ લેટરપેડ પર ધ્વજા મંજૂર કરાવતા પંથકમાં કૃષ્ણભક્તોમાં ધાર્મિક માહોલ છવાયો
વાંકાનેર : કોઈ પણ મોટા મંદિરમાં ધ્વજા રોહણ કરવી એ અમૂલ્ય તક ગણાય છે તેમાં પણ રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશને ધ્વજા રોહણ કરવાનો અવસર મળે તે જીવનનો મહામૂલો લ્હાવો હોય છે ત્યારે શહેરની નજીક આવેલી ભાટિયા સોસાયટી શ્રી મહાકાળી મહિલા સત્સંગ મંડળ દ્વારા તા. ૨૪ ને શનિવારે ધ્વજાજી ચઢાવવાનો મોકો મળ્યો છે ત્યારે સમસ્ત સોસાયટી જ નહીં પરંતુ આખાયે પંથકમાં આનંદની લાગણી જોવા મળી છે. શ્રી દ્વારકાધીશને ધ્વજા ચઢાવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. રાજાધિરાજને ધ્વજાજી રોહણ માટે મુખ્યમંત્રી કે કેન્દ્રીય મંત્રીઓની ભલામણ કરવામાં આવે છે અને ધ્વજાજી રોહણ કરવાની મંજૂરી મળે એટલે ધ્વજાજી રોહણ કરવાના આનંદમાં જાણે ખુદ દ્વારકાધીશ દર્શન આપવાના હોય તેવી અનુભૂતિ થાય છે ત્યારે સત્સંગ મંડળની મહિલાઓને આ અનુભૂતિ કરાવવા વાંકાનેર રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ ધ્વજાજી મંજૂર કરાવવા જહેમત ઉઠાવી હતી. ધ્વજાજી દર શનિ તથા રવિવારે કલેક્ટર દ્વારા ડ્રો કરી એક વ્યક્તિને ફાળવવામાં આવે છે ત્યારે ખુદ સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ પત્ર લખીને ખાસ ભલામણ કરી હતી અને દેવભૂમિ દ્વારકાના કલેકટર સાથે સંપર્ક કરી વાંકાનેરવાસીઓની લાગણી અને ધાર્મિક ભાવનાઓને સાચા અર્થમાં ઊણા ઉતાર્યા છે.
શ્રી દ્વારકાધીશને ધ્વજાજી તા.૨૪ ને શનિવારે સાંજે પાંચ વાગ્યે રોહણ કરવાના હોય આગલી રાત્રે જ યાત્રાળુઓ દ્વારકા જવા રવાના થયા હતા આ પ્રસંગે પ્રજાવત્સલ રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા , ભાજપના સિનિયર નેતા રતિલાલ અણિયારીયા , તાલુકા ભાજપના મંત્રી અને વાંકાનેર બ્રહ્મ સમાજના અગ્રણી પ્રવિણભાઇ પંડ્યા જોડાયા હતા. તમામ અગ્રણીઓએ યાત્રાળુઓને ફૂલહાર પહેરાવી સુખરૂપ યાત્રા પૂર્ણ થાય તેવી ભગવાન દ્વારકાધીશજીને પ્રાર્થના કરી હતી.












