હાલના પાલિકાના પ્રમુખના વોર્ડના જીનપરામાં છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી મુખ્ય રસ્તા પર હાડકા તોડ ખાડાઓ હોવા છતાં તેને બુરવામા પાલિકા તંત્ર નિષ્ફળ
ખાડાઓ બુરાશે કે પછી ચોમાસામાં પ્રજાજનોના હાડકા ભાંગશે
નગરસેવકો તથા પ્રજાજનોની પાંચ વર્ષથી રજૂઆત છતાં જાડી ચામડીના પાલિકાના અધિકારીઓ ખાડાઓ બુરતા ન હોવાથી પ્રજાની સુખાકારી માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે

વાંકાનેર : વાંકાનેર શહેરના ચોવીસ કલાક ધમધમતા જીનપરા રોડના નવિનીકરણ બાદ ભુગર્ભ ગટર તથા પાણી કનેક્શન માટે સીસી રોડને તોડવામાં આવેલ હોય જેના કારણે રોડ પર પાંચ જેટલા ખાડાઓ છે વર્ષોથી આ ખાડાઓ વાહનચાલકો માટે માથાનાં દુઃખાવા રૂપ બનેલા છે જે બાબતે પાલિકાતંત્રને પાંચ વર્ષથી વધુ સમયથી નગરસેવકો તથા પ્રજાજનો દ્વારા રજૂઆતો કરવામાં આવેલ હોય છતાં પાલિકા દ્વારા આ ખાડાઓ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી તેનો સીધો મતલબ એવો થાય છે કે પ્રજા ગઈ ભાડમાં અમે અમારું ધાર્યું જ કરીશું અમને સલાહ દેવાની જરૂર નથી અમે નવા રસ્તાઓ બનાવવામાં અને બન્યા પછી ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવા નવો બનાવાયેલો રોડ તોડી પાડવાની કામગીરીમાંથી અનુકૂળતા મળતી નથી. ખોબલે ખોબલે ભાજપને મત આપનાર પ્રજાજનોને ભાજપના પ્રજાના પ્રતિનિધિઓ દુઃખ , સમસ્યાઑ તથા અન્યાય સિવાય કાંઈ આપ્યું નથી છતાં શહેરની ભોળી પ્રજા ભાજપ ઉપર આંધળો વિશ્વાસ મૂકે છે ત્યારે ચોક્કસ કહી શકાય કે રાજ્યની અન્ય પાલિકામાં આવી સ્થિતિ સર્જાઈ હોય તો એકજ દિવસમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પાલિકાના અધિકારીઓની બદલી કરાવી કર્મચારીઓને સબક શીખવે છે પરંતુ વાંકાનેરમાં પાલિકા તંત્રની મનમાની સામે માત્ર પ્રજાજનો જ નહિ પરંતુ ભાજપના નગરસેવકો પણ નારાજ થયા છે ત્યારે પાલિકાના અધિકારીઓની અણઆવડતને કોણ થાબડભાણા કરે છે તે સવાલ પ્રજા સામે ઊભો થયો છે.
વર્ષો જુના પાલિકા તંત્રની જેમ રીઢા ખાડામાં ગુરુવારે સવારે જીનપરા રોડ પર બેંક ઓફ ઇન્ડિયા સામે રોડ પર રહેલા ખાડામાં પસાર થતી એક બરફ ભરેલ બોલેરો વાહન ફસાઇ ગયું હતું જેમાં વાહનમાંથી માલ ઉતારી મહા મહેનતે બોલોરોને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક જીનપરા રોડ પર પડેલા આ મસમોટા ગાબડાઓને પુરવા માટે યોગ્ય તસ્દી લઈ આ સમસ્યાનું કાયમી નિવારણ આવે તેવી રીતે કામગીરી કરવા વાંકાનેર પંથકના બહુમત નાગરિકો માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બોલેરો ખેતરાઉ રસ્તે ફસાઈ ન હતી પરંતુ શહેરના હાર્દસમા અને શાન સમાન જ્યાંથી પાલિકા પ્રમુખ ચૂંટાઈ આવ્યા છે તે જીનપરાના મુખ્ય રોડ પર આવેલા કુત્રિમ ખાડામાં બોલેરો ફસાઈ ગઈ હતી. અરે પાલિકાતંત્રને શું ફેર પડે પણ દર ચૂંટણીમાં ભોળી પ્રજા પાસે મતો માંગવા જતા નેતાઓ માટે આનાથી મોટી નિષ્ફળતા શું હોય શકે? શહેરમાં પ્રાથમિક સગવડતાઓ આપવામાં નિષ્ફળ પાલિકા તંત્ર કમસે કમ રાજમાર્ગો પર રહેલા ખાડાઓ બુરે અને નિયમિત શુદ્ધ પીવાલાયક પાણી વિસ્તરણ વ્યવસ્થા સંભાળે તો પણ સારું.










