Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના ગુજરાતની સાથે મોરબીના વિકાસ અને આત્મીય નાતાના સંસ્મરણોને...

પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના ગુજરાતની સાથે મોરબીના વિકાસ અને આત્મીય નાતાના સંસ્મરણોને વાગોળતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેન રબારી

મોરબી : અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. ત્યારે મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીજીના અકાળે અવસાનથી સમગ્ર ગુજરાત શોકમગ્ન છે. તેમનું સમર્પિત જનસેવાનું જીવન, નેતૃત્વની અનોખી શૈલી અને રાજકીય ક્ષેત્રે આપેલું અમૂલ્ય યોગદાન ગુજરાતના ઇતિહાસમાં સદાય સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. સ્વર્ગસ્થ વિજયભાઈ એક દૂરદર્શી નેતા હતા, જેમણે ગુજરાતના વિકાસને નવી દિશા આપી અને સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે અવિરત કાર્ય કર્યું. તેમની સરળતા, સૌજન્ય અને જનસેવાની ભાવનાએ તેમને લોકોના હૃદયમાં વિશેષ સ્થાન અપાવ્યું હતું.


વધુમાં દેવેનભાઈ રબારીએ કહ્યું કે, સ્વર્ગસ્થ વિજયભાઈનો મોરબી સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તેમણે મોરબીના વિકાસ અને સમૃદ્ધિ માટે હંમેશાં પોતાનું હૃદય અને મન સમર્પિત કર્યું હતું. ખાસ કરીને, યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાતા “શિવ તરંગ” મેળાના ઉદ્ઘાટન પ્રસંગે તેમની વિશેષ ઉપસ્થિતિ અને આશીર્વાદ હંમેશાં યાદગાર રહેશે. આ મેળો, જે શ્રાવણ અમાસના ત્રણ દિવસ દરમિયાન યોજાય છે, ભગવાન શિવને સમર્પિત છે અને મોરબી તેમજ આજુબાજુના જિલ્લાઓના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈએ આવા સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોને હંમેશાં પ્રોત્સાહન આપ્યું, જે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવામાં મહત્વનું યોગદાન આપે છે.

આ ઉપરાંત, શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત તૃત્ય સમૂહ લગ્નના પ્રસંગે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ રબારી સમાજને શુભકામનાઓ પાઠવી હતી, જે તેમની સમાજ પ્રત્યેની સદભાવના અને સમર્પણનું પ્રતીક છે. આવા સામાજિક કાર્યક્રમોમાં તેમની સહભાગિતા યુવાનોને સામાજિક એકતા અને સેવાના મૂલ્યો શીખવવા માટે પ્રેરણાદાયી રહી છે.

યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિઓને પણ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ હંમેશાં બિરદાવી હતી. આ ગ્રૂપે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખોરાક, દવાઓ અને અન્ય જરૂરી સહાય પૂરી પાડી, જે એક માનવીય સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈએ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને યુવા શક્તિને સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે પ્રેરિત કરી હતી.

સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું વ્યક્તિત્વ એક સાચા લોકનેતાનું હતું. તેઓ નમ્ર, દયાળુ અને દરેક વ્યક્તિની વાત સાંભળનારા હતા. તેમની નેતૃત્વ શૈલીમાં વિકાસની સાથે-સાથે માનવીય સંવેદનાઓનું સમન્વય હતું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના ઔદ્યોગિક, શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે અનેક નિર્ણાયક પગલાં લીધાં, જેના પરિણામે ગુજરાત આજે વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. તેમના આદર્શો અને વિચારો ગુજરાતના યુવાનોને હંમેશાં પ્રેરણા આપતા રહેશે. આ દુ:ખની ઘડીમાં અમે તેમના પરિવારજનો, સમર્થકો અને ગુજરાતની જનતા સાથે સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ. પ્રભુ શ્રી રામ તેમના આત્માને શાંતિ પ્રદાન કરે અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીજીના આદર્શો અને તેમનું વિઝન ગુજરાતના વિકાસનો પાયો રહેશે. તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments