મહેન્દ્રપરા શેરી નં ૧૭થી મચ્છુ માતાજી મંદિર સુધી નીકળનાર શોભાયાત્રામાં દાંડીયારાસ, હુડો તથા સાંસ્કૃતિક રમતોની રમઝટ બોલશે
મોરબી : ભરવાડ સમાજ તથા રબારી સમાજના મચ્છુ માતાજી તથા પુનીયા મામાના પ્રાગટય દિવસ નિમીત્તે પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ માલધારી સમાજ દ્વારા અષાઢી બીજે તા.27ને શુક્રવારે રથયાત્રાનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સવારે ૯:૦૦ કલાકે શ્રી મચ્છુ માતાજીની જગ્યા – મહેન્દ્રપરા શેરી નં ૧૭ થી શોભાયાત્રા નીકળશે અને શહેરના રાજમાર્ગ પરથી પસાર થશે. યુવક અને યુવતીઓ દાંડીયારાસ, હુડો તથા સાંસ્કૃતિક રમતો રમતા શ્રી મચ્છુ માતાજી મંદિર (કોઠે), દરબારગઢ પહોંચશે. આ વેળાએ ગોપાલ ભરવાડ એન્ડ ગૃપ, ભાવેશ ભરવાડ, રિંકુ ભરવાડ સહિતના કલાકારો સુરો રેલાવશે. આ ભવ્યાતિ ભવ્ય રથયાત્રામાં ભરવાડ સમાજ તથા રબારી સમાજના ભાઈઓ, બહેનો તથા યુવાનો તથા વૃધ્ધ સૌને માતાજીના દર્શન કરવા તથા સંતદર્શન કરવાનો અવસર મળવાનો છે.
આ વેળાએ મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ, મહેશપુરી (મુન્નાબાપુ), મહંત દેવાભગત સુરાભગત ગોલતર, રતનપુરીજી કેદારપુરીજી, રોહિતપુરીજી પાપનાસણા સહિતના સંતો ઉપસ્થિત રહેશે. જે. કે. ટીંબા એન્ડ ગૃપ રાત્રે ૧૦-૦૦ કલાકે ડાક ડમરુની રમઝટ પણ બોલાવવામાં આવશે. આ મહોત્સવમાં પધારવા ભરવાડ અને રબારી સમાજને મચ્છુ મિત્ર મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.













