પ્રવેશોત્સવના તાયફાને બંધ કરી શાળાઓની જર્જરીત હાલત સુધારવા સરકાર ઠોસ કદમ ઉઠાવે તેવી કોંગ્રેસે ટકોર કરી
મોરબી : મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખએ સરકાર ઉપર સીધું નિશાન તાક્યું હતું કે, ખરેખર સરકારે શાળા પ્રવેશોત્સવના તાયફા બંધ કરવા જોઈએ અને સરકાર ખરેખર શિક્ષણનું સ્તર સુધારવા માંગતો હોય તો મોરબી જિલ્લામાં આવેલી જર્જરિત શાળાઓનું તાત્કાલિક રીનોવેશન કરવું જોઈએ.કારણ કે, આ જર્જરિત શાળાઓમાં ભણતા બાળકો ઉપર અકસ્માત મોટું જોખમ છે. આથી ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ તેવી ભીતિ હોય સરકાર આ બાબતે ગંભીર બને તેવી તેમણે ટકોર કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના ગામડાઓની શાળાઓ જર્જરિત હાલતમાં છે. આવી જર્જરિત શાળાઓની હાલતના કારણે કોઈ આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોણ ? મોરબી જિલ્લાના ગામડાઓની તમામ શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે. તેમજ ગામડાઓની શાળાઓમાં અદ્યતન શૈક્ષણિક સાધનોનો અભાવ હોય તો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ કઈ રીતે મળી શકે ? શાળાઓની ખરાબ પરિસ્થિતિ, શિક્ષકોની ઘટ, શાળામાં અદ્યતન સાધનોનો અભાવ, હોવાના કારણે બાળકોના અભ્યાસ માટે લોકો શહેરો તરફ વળવા લાગ્યા છે. જે એક ચિંતાનો વિષય છે.
મોરબીના જિલ્લાના મુખ્ય અધિકારીઓ શિક્ષકોની ઘટ અને શાળાની જર્જરિત હલતથી વાકેફ છે કે કેમ ? ગામડાઓમાં શિક્ષણની પરિસ્થિતિને ધ્યાને લીધા વગર રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો કરી અને સરકારના નાણાંનો દુરુપયોગ કરવો કેટલો મહદઅંશે વ્યાજબી છે. આવા કાર્યક્રમો દ્વારા સરકારી નાણાંનો દુરુપયોગ કરી રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે. તેમજ ગામડાઓમાં આવા કાર્યક્રમો નહીં પરંતુ શાળાઓની રિનોવેશન કરી, નવા શિક્ષકોની નિમણુંક કરી અને શાળાઓમાં બાળકોને અદ્યતન શૈક્ષણિક સાધનો પુરા પાડી શૈક્ષણિક પદ્ધતિઓ કરાવવા માંગ ઉઠાવી છે.











