વિધાનસભા પાસે 12થી 12:30 સુધી રાહ જોશે, જો ગોપાલ ઇટાલિયા આવશે તો તેની સાથે રાજીનામુ આપી દેશે, નહીંતર નહીં આપે

મોરબી : મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની રાજીનામાની ચેલેન્જ ભારે ચર્ચામાં છે. ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અગાઉ કરેલી જાહેરાત મુજબ તેઓ મોરબીથી સેંકડો સમર્થકોના કાફલા સાથે રાજીનામુ આપવા રવાના થયા છે.
મોરબીમાં શરૂ થયેલા જનઆંદોલન દરમિયાન અમુક જગ્યાએ વિસાવદરવાળી કરવાની વાત આવી હતી. આ બાબતે ધારાસભ્ય કાંતિલાલે મોરબીના લોકોને આપના લોકો ઉશ્કેરી રહ્યાના આક્ષેપો કરી એવી ચેલેન્જ જાહેર કરી હતી કે જો ગોપાલ ઇટાલિયા મોરબી ચૂંટણી લડવા આવે તો તેઓ રાજીનામુ આપી દેશે અને રૂ.2 કરોડનું ઇનામ પણ આપશે.
ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જ સ્વીકારીને કાંતિલાલને રાજીનામુ આપવા કહ્યું હતું. જેના પ્રત્યુત્તરમાં કાંતિલાલે ઇટાલિયાને જવાબ આપતા જણાવ્યું હતું કે આપણે બન્ને સોમવારે વિધાનસભા અધ્યક્ષ પાસે જઈને રાજીનામુ આપી દેશું. જો કે કાંતિલાલના આ નિવેદન બાદ આપના જિલ્લા પ્રભારીએ એવું નિવેદન આપ્યું હતું કે હજુ ગોપાલ ઇટાલિયાએ શપથ પણ ગ્રહણ કર્યા નથી એટલે એમના રાજીનામાની વાત જ ન આવે. પહેલા કાંતિલાલ રાજીનામુ આપે. હાલ આ મુદ્દો ભારે ચર્ચામાં છે.
ત્યારે ધારાસભ્ય કાંતિલાલ આજે રાજીનામુ આપવા જવા રવાના થયા છે. સવારે અંદાજે 150થી વધુ કાર સાથે સમર્થકો સાથે તેઓ ગાંધીનગર જવા નીકળ્યા. છે. ગાંધીનગરમાં તેઓ વિધાનસભા પાસે 12થી 12: 30 સુધી ગોપાલ ઇટાલીયાની રાહ જોશે. જો ગોપાલ ઇટાલિયા આવશે તો તેઓ તેની સાથે રાજીનામું આપી દેશે. જો ગોપાલ ઇટાલિયા નહિ આવે તો તેઓ રાજીનામું નહિ આપે.
આ અંગે ધારાસભ્ય કાંતિલાલે જણાવ્યું કે એક સીટ આવી છે તેવામાં લોકોને ઉશ્કેરી તંત્રને કામ ન કરવા દેવા બધું બાનમાં લેવાયું હતું. ત્યારે હવે જવાબ આપવો જરૂરી બન્યો છે.











