મોરબી: મોરબીના નેશનલ હાઈવે પર લાલપર નજીક આવેલી સિરામિક સિટી સોસાયટી નજીક છેલ્લા દસ વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા રસ્તાનું સમારકામ થતાં સ્થાનિકોને હાલાકીમાંથી મુક્તિ મળી છે. અજય લોરીયા દ્વારા આ રસ્તાના ખાડા પૂરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેથી વાહનચાલકો માટે રસ્તો ફરીથી સુગમ બન્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રસ્તો છેલ્લા એક દાયકાથી અત્યંત ખરાબ હાલતમાં હતો. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહેતી અને ટુ-વ્હીલર ચાલકો માટે લપસી પડવાનો ભય રહેતો હતો. રસ્તાની આ કફોડી સ્થિતિને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે અજય લોરીયાને આ અંગે જાણ કરાતા તેમણે તાત્કાલિક ધોરણે રસ્તાના સમારકામનું કામ શરૂ કરાવી દીધું હતું. તેમના દ્વારા ખાડા બૂરીને રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે.









