હળવદ તાલુકામા ચરાડવા ગામના સરપંચના ઘર પાસે શેરીમાં મરેલું વાછરડું ફેંકી જઈ ગામના એક શખ્સે મહિલા સરપંચને જાનથી મારી નાખવા ધમકી આપી બેફામ ગાળો આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામના મહિલા સરપંચ લક્ષ્મીબેન રતિલાલ પરમાર ઉ.65 નામના મહિલાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ચરાડવા ગામે ગાયનું વાછરડું મરી ગયું હોવાથી તેમના પુત્રને આ વાછરડું ઉપાડવા માટે ટ્રેકટર લઈને મોકલ્યા હતા પરંતુ વરસાદને કારણે ટ્રેકટર ગારામાં ખૂંચી જતા વાછરડું ઉપાડી શક્યા ન હતા. દરમિયાન હળવદ ગામે રહેતો આરોપી અનિલ હસુભાઈ ચૌહાણ પોતાના બાઈક પાછળ આ મૃત વાછરડું બાંધી સરપંચના ઘર પાસે ફેંકી ગયેલ હતો અને ફરિયાદી સરપંચ સાથે ગાળા ગાળી કરી વાછરડું કેમ ન ઉપડાવ્યું કહી ઝઘડો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










