મોરબી : મોરબીના જાણીતા નવયુગ ગ્રુપ ઓફ કોલેજ, વીરપર ખાતે નવયુગ કા રાજા” ગણપતિ મહોત્સવ ભવ્ય રીતે મહાઆરતી સાથે ઉજવાયો હતો અને અગલે બરસ તુમ જલ્દી આનાના નાદ સાથે ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી.
વિધ્નહર્તા ગણપતિ બાપાની વિધિવત પૂજા-અર્ચના બાદ ભવ્ય 256 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ આયોજનમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે કાર્યક્રમને વિશેષ ઊર્જા અને એકતા મળી હતી.
મહોત્સવની સમાપન વિધિ અંતર્ગત આજે વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો વિશાળ સંખ્યામાં જોડાયા. શ્રદ્ધાભક્તિ સાથે “ગણપતિ બાપા મોરયા”ના ગર્જના કરતા સૌએ આનંદપૂર્ણ માહોલમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રા પૂર્ણ કરી હતી.
આ પ્રસંગે કોલેજ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓની એકતા, સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ અને સામાજિક જવાબદારી માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી. કાંજીયા તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.


















