મોરબીની નવયુગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી એક વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને ઈન્ટરનેટનો વધતો ઉપયોગ ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમીનારમાં નિષ્ણાત વક્તા તરીકે સાયબર સેલના અધિકારીઓએ સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારોમાં ઓનલાઇન ઠગાઈ, ડેટા ચોરી, હેકિંગ, OTP ફ્રોડ, ફેક એકાઉન્ટ, તથા સોશિયલ મીડિયા દુરુપયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ સાયબર સુરક્ષા માટેના કાનૂની નિયમો તથા આપણી વ્યક્તિગત સુરક્ષા માટે અપનાવવાની જરૂરી સાવચેતી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગેની વાસ્તવિક ઘટનાઓના ઉદાહરણો બતાવીને જાગૃત કરી શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાય તો “સાયબર હેલ્પલાઇન 1930” પર સંપર્ક કરવાની તથા સત્તાવાર વેબસાઇટ દ્વારા ફરિયાદ નોંધાવવાની માહિતી આપવામાં આવી હતી. સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ સક્રિય રીતે પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લઈને સાયબર સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. કોલેજના પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો સતત યોજવાના સંકલ્પ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.













