મોરબી-રાજકોટ હાઇવે ઉપર અનેક જગ્યાઓ ઉપર ખાડા પડયા છે. ઉપરાંત રોડની હાલત બિસ્માર છે. તેવામાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જેથી ધારાસભ્ય દ્વારા આ મામલે ગાંધીનગરમાં રજુઆત કરવામાં આવી છે.
ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ માર્ગ અને મકાન વિભાગના સચિવને રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે મોરબીથી રાજકોટ જતા હાઈવે ઉપર મોરબી-રાજકોટ તથા કચ્છના વાહનોની મોટા પ્રમાણમાં અવર-જવર રહેતી હોય હાલ વરસાદના કારણે આ રસ્તાની પરિસ્થિતિ અતિ ખરાબ છે. જેના કારણે વાહન ચાલકોને તેમજ લોકોને ખુબ જ મુશ્કેલી પડતી હોય જેથી આ રોડ તાત્કાલીક રીસરફેસ (પેવર) કરાવવામાં આવે.











