વાંકાનેર : તાલુકાના આણંદપર ખાતે તા. ૧૨ ના રોજ રાત્રે જંગી જનસભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઓબીસી વિંગના ઉપાધ્યક્ષ રણછોડભાઇ થુલેટિયાના અધ્યક્ષસ્થાને ત્રણસોથી વધુ ભાજપ કોંગ્રેસના કોળી તથા માલધારી સમાજના અગ્રણીઓને આમ આદમી પાર્ટીના ખેસ પહેરાવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી વાંકાનેરમાં આમ આદમી પાર્ટી પગપેસારો કરી રહી છે ત્યારે આગામી યોજાનાર તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પૂરી તાકાત સાથે તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડશે.
પ્રદેશ ઓબીસી વિંગના ઉપાધ્યક્ષ રણછોડભાઇ થુલેટિયાના જણાવ્યા અનુસાર તા. ૧૨ ના રોજ ઢુવા જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા આણંદપર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને આમ આદમી પાર્ટીની જંગી બહુમતી સાથે જીત પ્રાપ્ત કરવાના શપથ લીધા હતા. આ બેઠકમાં કોંગ્રેસ તથા ભાજપના અનેક અગ્રણીઓ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને રણછોડભાઇના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.















