મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ આઇકોન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં પતિના હાથે પત્નીની હત્યાના બનાવમાં મૃતક પત્નીને અન્ય લોકો સાથે મજાક મસ્તી નહિ કરવા સમજાવવા છતાં પત્ની નહિ સુધરતા પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે. હત્યાના આ બનાવમાં મૃતકના ફૈબાના દીકરાએ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ આઇકોન સિરામિક ફેકટરીમાં રહેતા મધ્યપ્રદેશના વતની બિંદાબેન કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલા ઉ.33ની તેના જ પતિ કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલાએ હત્યા કરી લેબર કવાટર્સને તાળું મારી નાસી ગયો હતો. બાદમાં હત્યારા પતિએ પોતાના સાળાને મધ્યપ્રદેશ ફોન કરી પોતે બિંદાની હત્યા કરી નાખી હોવાનું જણાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
બીજીતરફ હત્યાના આ બનાવ અંગે મૃતક બિંદાબેનના ભાઈ જીતેને પોતાના ફૈબાના દીકરા અને હાલ મોરબીના ઉંચી માંડલ નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતા પહેલવાન ટનટયાભાઈ બારેલાને જાણ કરી બિંદાબેનની હત્યા થઈ હોવાનું જણાવતા પહેલવાનભાઈ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. પહેલવાનભાઈએ પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે, મૃતક બિંદાબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલા અવાર નવાર ઝઘડા કરતો હોય તેમના બહેને આ બાબતે અગાઉ તમને જાણ કરતા આરોપીને સમજાવી ઝઘડા નહિ કરવા કહ્યું હતું. જો કે, આરોપી આ બાબતે ઝઘડા શરૂ રાખી ગઈકાલે પણ ઝઘડો કરી બિંદાબેનની હત્યા કરી નાખી હતી.હાલમાં પોલીસે હત્યાના બનાવ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










