વાંકાનેર: વાંકાનેરના નવાપુરા પંચાસર રોડ પર આવેલ જય ગોપાલ ડેરી ફાર્મમાં ₹૧.૯૪ લાખની રોકડની ચોરી થઈ હતી. ચોરીમાં ચેકબુક અને બિલ ભરેલો થેલો પણ ગાયબ થયો હતો.
ડેરીના માલિક લિંબાભાઈ કરશનભાઈ સરૈયા (૪૫)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સે નજર ચૂકવીને ચોરી કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરતાં, હસનપર બ્રિજ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ આફતાબ હસનભાઈ બેલીમ (૨૫)ને ઝડપી પાડ્યો હતો. તેની તપાસ કરતાં, તેની પાસેથી ચોરી થયેલો થેલો મળી આવ્યો. થેલામાંથી ચોરી થયેલી ₹૧.૯૪ લાખની રોકડ, બિલ બુક અને જય ગોપાલ ડેરી ફાર્મની ચેકબુક પણ મળી આવી હતી.
આરોપી આફતાબ હસનભાઈ બેલીમ મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નાની વાવડી ગામનો રહેવાસી છે અને હાલ હસનપરમાં રહે છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.









