તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ગત તારીખ 21ના રોજ 16મો સરસ્વતી સન્માન સમારોહનું મહેન્દ્રનગર રામવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સરસ્વતી સન્માન સમારોહમાં 240 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના માર્કશીટ રજૂ કર્યા હતા.
દરેક વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર 90 વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં આહીર સમાજના 8 નિવૃત્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે 21 જેટલા આહીર સમાજના નવનિયુક્ત ક્લાસ વન ટુ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમના સહયોગીદાતા અરજણભાઈ મેરામભાઈ હુંબલ રહ્યા હતા. આ કાર્યક્રમ માતૃશ્રી રામબાઇમાની જગ્યાના સંત પ્રભુદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન તેમજ રામબાઈ માં આશ્રમ મયુર નગરના મહંતા વ્રજ કિશોરીબેનના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આહીર સમાજના અધિકારીઓ જયશ્રીબેન જરૂ, નિર્મળભાઈ ગોગરા, વિક્રમભાઈ ખુંગલા તેમજ પ્રવીણભાઈ ભેડા દ્વારા કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ લાખાભાઈ જારીયા, ચંદુભાઈ હુંબલ, દેવાભાઈ અવાડિયા, જેસંગભાઈ હુંબલ, અમુભાઈ હુંબલ તેમજ ચંદુભાઈ લાવડીયા, ભરતભાઈ ડાવેરાએ હાજરી આપી સ્ટેજ શોભાવ્યું હતું. વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











