મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવારોને મદદ કરવાના ઉમદા હેતુ સાથે ‘પાટીદાર નવરાત્રી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા યોજાતો આ મહોત્સવ કોઈ આર્થિક લાભ માટે નહિ, પરંતુ શહીદોના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે યોજાય છે. ત્યારે પ્રથમ નોરતે જ શહીદ જવાનોના બે પરિવારોને સહાય આપવામાં આવી હતી.
નવરાત્રીના પહેલા જ દિવસે જમ્મુ-કાશ્મીરના બે શહીદોના પરિવારોને રૂ. 1 લાખની સહાય પૂરી પાડવામાં આવી હતી. આ બે શહીદોમાં 28 વર્ષના કરતાર સિંગ હતા, જેઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ફાયરિંગ અભ્યાસ દરમિયાન શહીદ થયા હતા. બીજા શહીદ 37 વર્ષના સુરેન્દ્રસિંહ હતા, જેઓ આર્મીમાં ડોક્ટર હતા. કોરોના મહામારી દરમિયાન અન્ય જવાનોના જીવ બચાવતા તેઓ કોરોનાથી સંક્રમિત થયા અને શહીદ થયા હતા. સુરેન્દ્રસિંહ દિલ્હી આર્મી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા.
આયોજકોએ અત્યાર સુધીમાં 263 જેટલા શહીદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડી છે. આ વર્ષે પણ 20 થી 25 શહીદ પરિવારોને સહાય આપવામાં આવશે, જેઓને અન્ય રાજ્યો જેવા કે જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તરાખંડમાંથી પણ અજય લોરીયા પોતાના ખર્ચે બોલાવશે.











