મોરબી: મોરબીની એવન્યુ પાર્ક સોસાયટી પાછળના વોકળામાં છેલ્લા આઠ દિવસથી વધુ સમયથી મૃત ભુંડના ઢગલાને કારણે સ્થાનિક રહીશોનું જીવન મુશ્કેલ બન્યું છે. કોહવાઈ ગયેલી હાલતમાં પડેલા આ મૃતદેહોને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેને કારણે આરોગ્ય જોખમાવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિક રહેવાસીઓએ આ અંગે વારંવાર મહાપાલિકાને રજૂઆતો કરી હતી. શરૂઆતમાં, સોસાયટીના રહીશોએ પોતાની રીતે ખાનગી રાહે પૈસા ઉઘરાવીને મૃતદેહોનો એક વખત નિકાલ કરાવ્યો હતો, પરંતુ તે પછી પણ વોકળામાં દસથી પંદર જેટલા મૃત ભુંડ સડી રહેલી હાલતમાં પડ્યા રહ્યા હતા. આજે, એવન્યુ પાર્ક સોસાયટીના જાગૃત નાગરિકોએ ભેગા મળીને મહાપાલિકાની ઢીલી કામગીરી સામે કડક વલણ અપનાવ્યું હતું, જે બાદ આખરે મહાપાલિકાએ થોડી કામગીરી શરૂ કરી છે. ત્યારે સોસાયટીના રહીશોની મુખ્ય માંગણી માત્ર મૃત ભુંડના નિકાલ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર વોકળાની સફાઈ સંપૂર્ણપણે કરવામાં આવે.











