આગામી દિવસોમાં ઘર ઘર સંપર્ક, પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી અને યુવા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે
મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નરસંગ ઉપનગર દ્વારા વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા.
આ અંગે સંઘના મોરબી નગર કાર્યવાહ ડો.જયદીપભાઈ કંઝારીયાએ જણાવ્યું કે વર્ષ 2025 -26 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરનાર છે. આ અવસરને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવા સંઘ દ્વારા આ વર્ષે વિજયાદશમી ઉત્સવ વિશેષ ભવ્યતા સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તારીખ 2 ઓક્ટોબર 2025 ને ગુરુવારના રોજ સંઘ સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ વિજયા દશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત શસ્ત્રપૂજન, પથસંચલન તથા જાહેર કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. સાથે જ સંઘના શતાબ્દી વર્ષના સંકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ ખાતે નરસંગ ઉપનગર-મોરબી દ્વારા વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામા રાષ્ટ્રીય સ્વયંસેવકના સ્વયંસેવકો, કાર્યકર્તાઓ તથા મોરબીના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. હજુ આગામી દિવસોમાં ઘર ઘર સંપર્ક, પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી અને યુવા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે.

















