મોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જાણે યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય એમ છેલ્લા 24 કલાક દરમિયાન બાળક, સગીરા અને યુવાનના સહિત 9 – 9 જિંદગીનો અકાળે અંત આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પાણીમાં ડૂબી જવાથી, ગળેફાંસો ખાઈને, વીજશોકથી અને ટ્રકમાં દબાઈ જવાથી માનવ જિંદગીનો અકાળે અંત આવ્યો હતો.
પ્રથમ બનાવમાં ગઈકાલે મોરબીના ત્રાજપરમાં આવેલ મયુર સોસાયટીમાં રહેતા સંદીપભાઈ પ્રવીણભાઈ સાંવરિયા ઉ.28 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બીજા બનાવમાં મોરબી તાલુકાના ચકમપર ગામે ખેત મજૂરી કરતા સુનિલભાઈ લાલુભાઈ નાયકા ઉ.18 નામના યુવાને કોઈ કારણોસર મોનોકોટો નામની ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ત્રીજા બનાવમાં મકનસર ગામે આવેલ નેશનલ રીફેક્ટરી નામના કારખાનામાં મૂળ મધ્યપ્રદેશના વતની શિવાભાઈ અંબારામભાઈ ભીલ ઉ.22 નામના શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જ્યારે ચોથા બનાવમા મોરબીના મકનસર પ્રેમજીનગરમાં રહેતા સ્નેહાબેન શામજીભાઈ ચૌહાણ ઉ.17 નામની સગીરાએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. પાંચમા બનાવમાં મોરબીના બેલા ગામે પરિશ્રમ કારખાનામાં રહેતા રાહુલ રવિન્દ્રભાઈ ભારતી ઉ.17નું ખેત તલાવડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. છઠ્ઠા બનાવમાં મોરબીના લગધીરપુર રોડ ઉપર કાલિકાનગર પાસે આવેલ તુલસી મિનરલ્સમાં રમતા રમતા વીજ ટ્રાન્સફોર્મરને અડી જતા ભુપેન્દ્ર રાહુલ પોલ ઉ.3 નામના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત સાતમા બનાવમાં મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામની સીમમાં આવેલ ફેબુલા સિરામિક કારખાનામાં ટ્રક ખાલી કરતા સમયે મનસુખભાઇ બચુભાઇ સીતાપરા ઉ.41નું માટીમાં દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. આઠમા બનાવમાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર સનરાઈઝ હાઈટમાં રહેતા અંબારામભાઈ મોહનભાઇ રંગપડીયા ઉ.72 છઠ્ઠા માળે કપડાં સુકવવાની દોરી બાંધતા હતા ત્યારે નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે નવમાં બનાવમાં મોરબીના મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ કામધેનુ પાર્કમાં ઓમકાર પેલેસેમાં રહેતા અદિત્યકુમાર નીતિનભાઈ શિરવી ઉ.21 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.તમામ બનાવોમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










