લોકાર્પણ-ખાતમુહૂર્તના સરકારી કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારોને સ્ટેજ પર બેસાડતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું
મોરબી : મોરબીમાં આજે વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલા લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારોને સ્ટેજ ઉપર બેસાડવા મામલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી હતી.
મોરબીના શનાળામાં પટેલ સમાજ વાડી ખાતે આજે વિકાસ સપ્તાહના છેલ્લા દિવસે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રૂ.16.66 કરોડના ખર્ચે 184 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું હતું. આ કાર્યક્રમ સરકારી હોય તેમા ભાજપના હોદ્દેદારોને સ્ટેજ ઉપર સ્થાન આપવું યોગ્ય નથી. જો ભાજપના હોદ્દેદારોને સ્ટેજ ઉપર સ્થાન મળે તો અમને પણ આપો. એવી દલીલ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતનાએ વિરોધ પ્રદર્શન કરતા સ્થળ ઉપર પોલીસે તેઓની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આવી જ રીતે હળવદના ઇસનપુરમાં પણ કૃષિ મહોત્સવમાં સ્ટેજ ઉપરની બેઠક વ્યવસ્થાને લઈને કોંગ્રેસે પણ વિરોધ કર્યો હતો.












