મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે કે, દિવાળી પર્વને લઈ ગામ તથા આસપાસના વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને જી.આર.ડી. જવાનોની નિમણૂક કરવામાં આવે.
રજુઆતમાં જણાવાયું છે કે, ગોરખીજડીયા થી મોરબી જતાં રોડ પર છેલ્લા થોડા સમયથી કાળા કાચવાળી કારોમાં આવારા તત્વો દ્વારા અશાંત પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આવા લોકો માર્ગ પર બેસી રહે છે અને ત્યાંથી પસાર થતી બહેનો તથા વિદ્યાર્થીનીઓનો પીછો કરીને છેડતી કરે છે તથા પછી ફરાર થઈ જાય છે.
આથી ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં ચોરી-લૂંટ અથવા છેડતી જેવા બનાવો ન બને તે માટે તાત્કાલિક કાયદેસર પગલાં લેવા તેમજ લોકો દિવાળીના તહેવારો દરમિયાન નિર્ભયતાપૂર્વક ખરીદી કરવા જઈ શકે તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે તેવી સરપંચએ વિનંતી કરી છે.











