માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તાજેતરમાં 18 તાલુકાઓમાં ખેડૂતો માટે સહાય જાહેર કરી છે, પરંતુ મોરબી જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે, જે અત્યંત અન્યાયપૂર્ણ અને ખેદજનક છે. તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં પણ અતિ વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. પાક નાશ પામ્યો છે, ખેડૂતો મુશ્કેલીમાં છે છતાં પણ સરકારની સહાય જાહેર યાદીમાં મોરબી જિલ્લાનો સમાવેશ ન થવો એ સરકારની ભેદભાવભરી નીતિ દર્શાવે છે. વધુમાં કહ્યું કે, મોરબી જિલ્લામાં ચાર ધારાસભ્યો અને બે સાંસદ હોવા છતાં કોઈએ ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો નથી. શું હવે મંત્રીપદ અને પદનો લોભ ખેડૂતોની પીડા કરતાં મોટો થઈ ગયો છે?
તેમણે ખેડૂતોને સંદેશ આપ્યો કે, “હવે જાગવાની જરૂર છે. જે નેતા ખેડૂતો માટે સાચે અવાજ ઉઠાવે, તેને સહકાર આપો. ખોટા નેતાઓની વાહવાહી બંધ કરો.” કોંગ્રેસ હંમેશ ખેડૂતોની સાથે રહી છે અને રહેશે. જો જરૂરી બનશે તો મોરબી જિલ્લાના ખેડૂતોને યોગ્ય સહાય મળે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવશે.











