મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ સર્કલ નજીક ચાલી રહેલા ઓવરબ્રિજનું કામ અધૂરું અને અત્યંત જોખમી હાલતમાં હોવા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
પુષ્પરાજસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઓવરબ્રિજના નિર્માણ સ્થળે સળિયાઓ ખુલ્લા દેખાઈ રહ્યા છે. તેમજ સાઇડમાં લગાવવામાં આવેલા પતરાઓ અત્યંત ખરાબ હાલતમાં છે. આ પરિસ્થિતિને કારણે મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. જો અહીં કોઈ દુર્ઘટના થશે, તો નીચેના ખુલ્લા સળિયાઓને કારણે ઘણા લોકોની જાનહાનિ થવાની સંભાવના છે, જે લોકોના જીવનો સવાલ છે.
પુષ્પરાજસિંહ જાડેજાએ આ ગંભીર મુદ્દે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અને R&Bના સોલંકીને ટેલિફોનિક રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે તંત્રને વીડિયોના માધ્યમથી તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજનું આ કામ ઝડપથી પૂર્ણ કરવા અને કોઈ મોટા અકસ્માતની રાહ ન જોવા માટે અપીલ કરી છે.











