મોરબી : મોરબીના વાવડી પાસેથી ગૌરક્ષકો અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરીને કતલખાને લઈ જવાતા પાંચ ગૌવંશને મુક્ત કરાવી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષા જામનગરના ગૌરક્ષકોને માહિતી મળી હતી કે, માળિયાના અંજીયાસર ગામે ગૌવંશને ગાડીમાં ભરીને મોરબી થઈને લઈ જવાના છે. જામનગર બાજુથી માળિયા તરફ એક છોટા હાથી જેના નંબર GJ-10-TV-3732માં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે માળિયા મોરબી થઈને અંજીયાસર ગામમાં કતલના ઇરાદે લઈ જવામાં આવતા હોય જે હકીકત માહિતી મળતા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના ગૌરક્ષક વોચમાં બેઠા હતા. ત્યારે બાતમી મુજબની ગાડી વાવડી ગામ બાજુથી આવતા તેને વાવડી ચોકડી નજીક પોલીસના સહયોગથી રોકીને તેમાં તપાસ કરતા 5 ગૌવંશ નાના મોટા વાછરડાને ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હતા. વાહન ચાલકને પૂછપરછ કરતા તેની પાસે કોઈ પણ પરમિટ ના હોવાનું અને જામનગરના લાલપુર તરફથી આ ગૌવંશ ભરીને અંજીયાસર ગામમાં કતલ કરવાના ઇરાદે લઈ જવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ આરોપી ઝડપી અને ગાડીને કબજે કરીને તમામ જીવોને છોડાવ્યા હતા અને કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.











