મોરબી તાલુકાના ઘૂંટુ ગામના રહેવાસી જયંતિભાઈ કેશુભાઈ ચૌહાણ દ્વારા ઘુંટુ ગામમાં ચાલી રહેલા દારૂના આશરે 15 અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અગાઉની રજૂઆતો પર કોઈ કાર્યવાહી ન થતા, અરજદારે આ દારૂના વેચાણને કારણે ફેલાયેલા ભય અને સામાજિક અસુરક્ષા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થવાથી સમાજમાં ભયનું વાતાવરણ છે, બહેન-દીકરીઓની આબરૂ સલામત નથી, ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે અને બાળકોને પણ ખરાબ પ્રેરણા મળી રહી છે. આ દારૂના અડ્ડાઓને કારણે સામાન્ય નાગરિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. અરજદારે સમાજ સુરક્ષાના ભાગરૂપે આ દારૂના અડ્ડાઓ બંધ કરવા યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે. સાથે જ, જો આવનારા 15 દિવસની અંદર આ અડ્ડાઓ બંધ નહીં થાય, તો ચમત્કારિક કાર્યક્રમો આપવાની અને તેની શરૂઆત ‘જનતા રેડ’થી કરવાની ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.











