મોરબી : હાલ મોરબી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. ત્યારે આ પાકના નુકસાન બદલ ખેડૂતોને સર્વે કરાવ્યા વગર તાત્કાલિક વળતર આપવાની માંગ સાથે બિલિયાના પૂર્વ સરપંચ કાંતિભાઈ એમ.પેથાપરા દ્વારા માંગ ઉઠાવામાં આવી છે.
તેઓએ જણાવ્યું છે કે 23-10-2025ને સોમવારે મોરબી શહેર તેમજ મોરબી જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડેલ છે. આ ગામો જેવા કે, બિલિયા, બગથળા, કાંતિપૂર, માણેકવાડા, વિરપરડા, મેઘપર, બરવાળા વગેરે ગામોમાં 2.5 થી 3 ઇંચ સુધી કમોસમી વરસાદ થયો છે. આ વિસ્તારમાં 90% કપાસ, 5 % મગફળી તથા 5% ઘાસચારનું વાવેતર થયેલ છે. કપાસ અત્યારે પ્રથમ વીણ કરવાની અવસ્થાએ હતો. તેવા સમયે માવઠું થતા કપાસ- રૂ જમીન પર પડી ગયું છે. કપાસમાં પાણી પડવાથી કપાસ પીળો તથા કાળો પડી ગયો છે. વધારે વરસાદના કારણે કપાસમાં રહેલા કપાસિયા પણ ઉગવા લાગ્યા છે. આમ પારાવાર નુકસાન થયું છે.
આ ઉપરાંત મગફળીની પણ પાકવાની અને કાઢવાની પ્રક્રિયા ચાલુ હોવાથી 100% નુકસાન થયેલ છે. ત્યારે કૃષિ પાક ધિરાણ ખરીફ 2025 100% માફ કરવા તેમજ તાત્કાલિક સર્વે કર્યા વગર સરકારી ધારા ધોરણો મુજબ વધારેમાં વધારે વળતર આપવા સરકાર સમક્ષ માંગ છે.











