વિવિધ ફ્લોટ્સ, આતશબાજી, વેશભુષા, લાઈવ પ્રસાદ સહીતના આકર્ષણો : સરદારબાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી કરાઈ
મોરબી : પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે આજે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરિયાલાલ પ્રભુજીના મંદિર ખાતેથી શરૂ થઈ નહેરુ ગેઈટ ચોક – શાક માર્કેટ – ગાંધીચોક – વસંત પ્લોટ – રવાપર રોડ – બાપા સીતારામ ચોક – નવા બસસ્ટેન્ડ – સરદાર બાગ – અયોધ્યા પુરી રોડ સહીતના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો સાથે ફરી હતી.
વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત તેમજ પૂ.બાપાનું પૂજન કરવામાં આવ્યું હતું. બાપા સિતારામ ચોક ખાતે ગંગા ઘાટ જેવી મહાઆરતી અને સરદાર બાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી કરવામાં આવી હતી. શહેરના નગર દરવાજા ચોક ખાતે તેમજ નવા બસ સ્ટેશન ખાતે મહાઆતશબાજી યોજાઇ હતી. શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂ.જલારામ બાપાનો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂ.જલારામ બાપા, વીરબાઈ માઁનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા ઘરે ઘરેથી એકત્ર થયેલ રોટલાનું શોભાયાત્રા દરમિયાન વિતરણ કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાવભેર જોડાયા હતા.












