મોરબી: ગુજરાત સરકારશ્રીના યોગ બોર્ડના સહકારથી તેમજ પોલીસ મહાનિદેશક (જેલ) ડૉ. કે.એલ.એન. રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ “અહિંસાથી એકતા” કાર્યક્રમ અંતર્ગત રાજ્યની વિવિધ જેલોમાં યોગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
02 ઓક્ટોબર (અહિંસા દિવસ)થી 31 ઓક્ટોબર (રાષ્ટ્રીય એકતા દિવસ) દરમિયાન મોરબી સબ જેલ ખાતે બંદીવાનો તેમજ જેલ સ્ટાફ માટે નિયમિત યોગ સત્રો યોજાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત મોરબી જિલ્લા યોગ બોર્ડના પ્રમાણિત યોગ પ્રશિક્ષકશ્રી ગૌતમભાઈ આર. ચાવડા તથા નિધિબેન એસ. ચીખલીયાએ બંદીવાનોને માનસિક તણાવમાંથી મુક્તિ મળે અને આરોગ્ય સારું રહે તે હેતુસર વિવિધ યોગાસનો કરાવ્યા હતા.

જેલ અધિક્ષક એચ.એ. બાબરિયા દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ પહેલને બંદીવાનો માટે માનસિક શાંતિ અને સ્વસ્થ જીવન તરફનો સકારાત્મક પગલું ગણાવવામાં આવ્યું હતું.










