મોરબી : લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે મોરબી સિરામિક પરિવાર તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમ્યાન નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ દેશના ક્રાંતિકારીઓને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ અવસરે સિરામિક એસોસિએશનના પ્રમુખો, સભ્યો તથા પાટીદાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું કે, સિરામિક પરિવાર અને પાટીદાર સમાજે સરદાર પટેલનું સ્ટેચ્યુ તથા સર્કલ બનાવવા માટે મોરબી મહાનગરપાલિકામાં માંગણી મૂકી છે, પરંતુ તેની મંજૂરી માટે હજુ સમય લાગ્યો છે.
તેમણે ઉમેર્યું કે હવે સિરામિક પરિવાર તરફથી શહેરમાં બેથી ત્રણ જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સ્થાપિત કરાશે, જેથી આવનારા સમયમાં આ પ્રતિમાઓ પ્રેરણાસ્થાન રૂપ બની રહેશે.













