મોરબી : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે મોરબી શહેર તેમજ સરવડ ગામમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસ તથા માળિયા તાલુકા કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ તાજેતરના માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સરકારને અપીલ કરી કે આ કુદરતી આફતમાં ખેડૂતોને તાત્કાલિક સહાય મળી રહે અને તેમને આર્થિક સંકટમાંથી બચાવવામાં આવે.
કોંગ્રેસે યાદ અપાવ્યું હતું કે વર્ષ 2008માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા ખેડૂતોના ધીરાણ માફ કરવામાં આવ્યા હતા, તેવી જ રીતે હાલ પણ માવઠાથી પીડિત ખેડૂતોનું ધીરાણ માફ કરવું જોઈએ. ઉપરાંત, કોઈ તાયફા કે સર્વેની પ્રક્રિયા વિના થયેલી નુકસાનીની રકમ સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવાની માગ પણ કરવામાં આવી હતી.












