મોરબી : મોરબી કોર્ટે તાજેતરમાં ચેક રિટર્ન કેસમાં આરોપી કલ્પેશભાઈ મિસ્ત્રીને એક વર્ષની કેદની સજા તેમજ ચેકની રકમથી બમણી રકમ વ્યાજ સહિત ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે.
કેસની વિગત મુજબ, ફરિયાદી પ્રિન્સકુમાર દિનેશચંદ્ર પનારા (રામોજી ગ્રેનાઈટ પ્રા.લિ.ના ઓથોરાઈઝડ સિગ્નેચરી) એ વર્ષ ૨૦૧૮માં આરોપી કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રી (જલારામ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઇટર)ને સિરામિક આઇટમ્સનો માલ ઉધારમાં વેચ્યો હતો. બાકી રકમની ચુકવણી માટે આરોપી કલ્પેશ મિસ્ત્રીએ ફરિયાદીને રૂ. ૧,૫૫,૫૩૬/- નો ચેક આપ્યો હતો. આ ચેક વણચુકવ્યે પરત ફરતા, ફરિયાદીએ કાયદેસરની નોટિસ આપી હતી. તેમ છતાં રકમ ન ચૂકવાતા મોરબી કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કેસ ચાલતા, ફરિયાદી પક્ષે રજૂ કરેલા પુરાવાઓ, દલીલો અને નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને, મોરબીના મહે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સી. વાય. જાડેજાએ આરોપી કલ્પેશ મિસ્ત્રીને એક વર્ષની કેદની સજા, ચેકની રકમથી ડબલ રકમનો દંડ તેમજ ફરિયાદ દાખલ કર્યાની તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯% વ્યાજ વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. તેમજ જો આરોપી દંડની રકમ અને વ્યાજ ચૂકવવામાં કસર કરે તો તેને વધુ ૯૦ દિવસની સજા ભોગવવી પડશે. આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ આશિષ. ડી. ચાવડા, મિતરાજસિંહ. કે. જાડેજા અને નિશીત. પી. ઘેટીયા રોકાયેલા હતા.











