ઇજાગ્રસ્ત યુવાનને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો
મોરબી : મોરબીના ભરતનગર ગામ પાસે હાઇવે પર ગતરાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
મોરબી-માળિયા હાઈવે પર ભરતનગર ગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે રાત્રીના સમયે અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇક સવાર બે યુવકોના મોત થયા છે. મૃતકોની ઓળખ મૂળ મધ્યપ્રદેશના અમિતભાઈ રમેશભાઈ વિશ્વકર્મા (ઉ.વ. 32) અને શિવરામભાઈ ભેરુસિંહ ભાભર (ઉ.વ. 22) તરીકે થઈ છે. તેઓ રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ ખાતે રહે છે અને અન્ય એક વ્યક્તિ સાથે બાઇક પર જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રીજા યુવાનને પ્રાથમિક સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








