મોરબી: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ગુજરાત ઝોનની 60 વર્ષની ઈશ્વરીય સેવાના ‘ડાયમંડ જ્યુબિલી વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે આજે, 23 નવેમ્બર, 2025 ને રવિવારના રોજ મોરબી ખાતે શાંતિ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ’ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલી આ યાત્રા શાંતિમય સંસારના નિર્માણનો લક્ષ્ય લઈને આગળ વધી હતી.
ગુજરાતભરના 500 થી વધુ સેવાકેન્દ્રોની સાથે મોરબીમાં પણ આ શાંતિયાત્રા એક જ સમયે, એક જ દિવસે યોજાઈ હતી. આ યાત્રામાં બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ-બહેનો ‘શાંતિદૂત’ બનીને જોડાયા હતા. તેઓએ મૌનના મંત્ર સાથે ‘શાંતિ આત્માનો સ્વધર્મ છે’ અને ‘શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે’ તેવો શુભસંદેશ ફેલાવ્યો હતો. આ શાંતિ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વ માનવબંધુ માટે શાંતિનું પ્રેરક સ્ત્રોત બનવાનો હતો, જેથી દરેક વ્યક્તિ શાંતચિત્ત બનીને પોતાનું અને પરિવારનું જીવન શાંતિમય બનાવવા પ્રયત્ન કરે અને વિશ્વમાં શાંતિ ફેલાવવા નિમિત્ત બને.
બ્રહ્માકુમારીઝ ગુજરાત દ્વારા ડાયમંડ જ્યુબિલી વર્ષ અંતર્ગત શરૂ કરાયેલો ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ’ પ્રોજેક્ટ યુ.એન.દિવસ (24 ઓક્ટોબર) ના રોજ શરૂ થયો હતો, જે આગામી 21 ડિસેમ્બર, 2025 ના ‘વર્લ્ડ મેડિટેશન ડે’ સુધી ચાલશે. મોરબીના નાગરિકોએ પણ શાંતિ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સંસ્થાએ લોકોને અપીલ કરી હતી કે તેઓ શાંતિદાન માટે સંકલ્પ લઈને પોતાની પ્રાર્થના/મેડિટેશનની મિનિટ્સ નજીકના બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્ર પર નોંધાવીને આ ઉમદા કાર્યમાં સહયોગી બને.















