હળવદ શહેરના રાણેકપર રોડ પર બે દિવસ પહેલા સમી સાંજે માર્કેટિંગ યાર્ડમાં આવેલ દુકાનેથી ઘેર જઈ રહેલા વેપારીનો પીછો કરી મરચાની ભૂકી છાંટી બે શખ્સોએ રૂ.6.90 લાખની લૂંટ ચલાવવા પ્રકરણમાં હળવદ પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુન્હો દાખલ કર્યો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટિકર ગામના વતની અને હાલમાં રાણેકપર રોડ પર આવેલ આંનદનગરમાં રહેતા રજનીકાંતભાઈ ભીખાભાઇ દેથરીયા ઉ.44 નામના વેપારીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.2ના રોજ તેઓ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ તેમની કમિશન એજન્ટની ઓફિસથી નિત્યક્રમ મુજબ ઘેર જતા હતા ત્યારે આનંદ બંગલો નજીક બાઇકમાં આવેલ બે અજાણ્યા શખ્સોએ મરચાની ભૂકી છાંટી રૂ.6.90 લાખ ભરેલ થેલો ઝૂંટવી લીધો હતો. જો કે આમ છતાં તેઓએ સતત લૂંટારુઓનો પીછો કરતા આગળ જતા લૂંટારુઓ રામવિલા સોસાયટીમાં ઘુસી ગયા હતા.જો કે, આગળ દીવાલ આવી જતા લૂંટારુઓ બાઈક મૂકી દીવાલ કૂદી નાસી ગયા હતા.લૂંટની આ ઘટના અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










