મોરબી શહેરમાં ગત તા.26 ઓક્ટોબરના રોજ પૂર્વ પત્ની અને સાસુએ લાકડી વડે હુમલો કરી માર મારવાની સાથે પુત્રને મારી નાખવા ધમકી આપવા અંગે પૂર્વ પતિએ નોંધાવેલ ફરિયાદમાં પરિણીતા નિશા રાજેશભાઈ દફતરીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમના પર થયેલા આક્ષેપો સત્યવિહીન, પાયા વિહોણા અને તેમને દબાણમાં મુકવા પૂર્વ પતિએ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ લખાવી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં તા.26 ઓક્ટોબર 2025ના રોજ ફરિયાદી ધીરેનભાઈ ભુદરભાઈ માકાસણાએ નોંધાવેલ ફરિયાદ અંગે સ્પષ્ટતા કરતા નિશાબેન રાજેશભાઇ દફ્તરીએ જણાવ્યું હતું કે, ધીરેનભાઈએ લખાવેલ ફરિયાદમાં જે આક્ષેપો કરાયા છે તે પૂર્ણપણે ખોટા, તથ્યવિહીન અને અસત્ય છે. હું કોઈપણ પ્રકારના અવૈધ સંબંધમાં સંડોવાયેલ નથી. મારા પતિ ધીરેન દ્વારા નોંધાવેલી FIRમાં દર્શાવેલા આક્ષેપો સંપૂર્ણપણે બનાવટી, પુરાવાવિહિન અને મનઘડત, ઉપજાવી કાઢેલા છે. આ બધા આક્ષેપો હું ખુલ્લેઆમ પુરેપુરા અને નિર્વિવાદ નકારી કાઢું છું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારી સામે આવા ઝેરભર્યા આક્ષેપો કરીને મારા પતિ ધીરેનનો એકમાત્ર હેતુ. મને દબાણમાં મૂકવાનો છે, જેથી હું બાળકની કસ્ટડી સંબંધિત કાયદેસર કાર્યવાહી અને મેટ્રિમોનિયલ વિવાદોમાં ચાલી રહેલી કોર્ટ કાર્યવાહીઓથી હાથ પાછો ખેંચી લઉં અથવા નબળી પડી જાઉં.આ ખૂબ જ શરમજનક અને ખોટું કાવતરું છે. જેનો હું કડક શબ્દોમાં વિરોધ કરું છું.આ ખોટા આક્ષેપો અને ખોટી માહિતી પ્રકાશિત થતાં મારા પરિવાર, સમાજિક જીવન, પ્રતિષ્ઠા અને માનસિક શાંતિને ગંભીર નુકસાન થયું હોવાનું તેમને જણાવ્યું હતું.
સાથે જ નિશાબેન રાજેશભાઇ દફ્તરીએ ઉમેર્યું હતું કે, મારા પતિ ધીરેન તથા જવાબદારી વિરુદ્ધ તેઓએ માનહાનિ, ખોટી ફરિયાદ, પાત્રહત્યા અને મારા અધિકારીને દબાવવા માટે દબાણ બનાવવાની કોશિશ બદલ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે તેમજ સંબંધિત પોલીસ સત્તાવાળાને લેખિતરૂપે મારી અધિકૃત સ્પષ્ટતા આપેલ છે. જેમાં અવૈધ સંબંધ સંબંધિત તમામ આક્ષેપોને સંપૂર્ણપણે ખોટા, અપ્રમાણિત અને માત્ર દબાણ બનાવવા માટે કરાયેલા હોવાનું જણાવી તેમના વિષે કરાયેલા બધા આક્ષેપો 100% ખોટા હોવાનું અંતમાં જણાવ્યું હતું.










