ટ્રાફિકને અડચણરૂપ 65 જેટલી રેકડીઓ દૂર કરી રૂ.20 હજારનો દંડ ફટકાર્યો
મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે ટ્રાફિક શાખાને સાથે રાખીને નહેરુગેટ આસપાસના વિસ્તારમાં આજે દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં અનેક રેકડીઓ હટાવવામાં આવી છે. સાથોસાથ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે.
મોરબી મહાપાલિકા દ્વારા અગાઉ નહેરૂગેટ ચોક સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ્યા બાદ ફરી તેની તે જ સ્થિતિ સર્જાય હતી. તેવામાં હવે આજે મહાપાલિકા અને ટ્રાફિક શાખા દ્વારા આજે સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીની આગેવાનીમાં અહીં નહેરુગેટ ચોક અને લોહાણાપરા શેરીની નજીકના વિસ્તારોમાંથી અંદાજે 65 જેટલી રેકડીઓ હટાવવામાં આવી હતી. આ ઉપરાંત રૂ.20 હજાર જેવો દંડ વસુલવામાં આવ્યો હતો.
આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે આ વિસ્તારમાં આગામી સપ્તાહ સુધી આ ઝુંબેશ ચાલુ રહેવાની છે. લોકોને અહીં ચાલવામાં પણ તકલીફ પડતી હતી. હવે આ વિસ્તારમાં લોકો સરળતાથી ખરીદી કરવા આવી શકશે અને પોતાના વાહન વ્યવસ્થિત રીતે મૂકી શકશે. ઉલ્લેખનીય છે કે અહીં કેટલાક દુકાનદારોએ રેકડી બહાર રાખી હતી. તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીને પગલે કેટલાક વેપારીઓએ રાજીપો વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ રેકડી ધારકોએ પોતાની રોજગારી છીનવાઇ ગઈ હોવાની નારાજગી વ્યક્ત કરી હતી.













