ટ્રાવેલ્સ એજન્ટ નકલી ટીકીટ ધાબડી દીધાની ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીમાં સાયબર ફ્રોડ, એજન્સી આપવાના નામે, શેરબજારમાં કમાણી સહિતની બાબતે છેતરપિંડીના અનેક બનાવ બની રહ્યા છે ત્યારે વેપારી અને ઉદ્યોગપતિના ગ્રુપને વિયેતનામ ફરવા જવું હોય ટ્રાવેલ્સ એજન્ટ પાસે ટીકીટ બુકીંગ કરાવતા ટ્રાવેલ્સ એજન્ટ નકલી ટીકીટ ધાબડી દઈ રૂ.15.47 લાખની છેતરપિંડી કરતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રાજકોટના ટ્રાવેલ્સ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના રવાપર રોડ પર રહેતા અને પીનટ બટરનો ધંધો કરતા નિકુંજભાઈ દિનેશભાઇ પનારા ઉ.વ.25 નામના યુવાન ઉદ્યોગપતિ વેપારીએ શનાળા રોડ પર સમય ગેટ પાસે એચ.આર.ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફીસ ધરાવતા આરોપી હેનીલ હિતેશભાઈ રાઠોડ રહે.કરણપરા, કેસરિયા વાડી, રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી તેમજ તેમના મિત્રોને તા.1 ડિસેમ્બરે વિયેતનામ ફરવા જવું હોય આરોપી હેનીલ હિતેશ રાઠોડ મારફતે એક વ્યક્તિના 1.60 લાખ લેખે ત્રણ ફેમિલીની 6 ટીકીટ બુક કરાવી હતી. જે બાદ આરોપીએ મોબાઈલના ટીકીટ કન્ફર્મ થયાનું જણાવી નકલી ટીકીટ ધાબડી દીધી હતી.
નિકુંજભાઈ ઉપરાંત સાહેદ એલિશભાઈ છગનભાઇ વાસજાળીયા, જીત મહાદેવભાઈ ભોરણીયા, લખન જીતેન્દ્રભાઈ કક્કડ તેમજ વિમલ કાંતિભાઈ જેતપરિયાએ પણ આ રીતે ટીકીટ બુક કરાવી હોય એડવાન્સમાં પૈસા આપ્યા બાદ ટીકીટ અને અન્ય ડોક્યુમેન્ટ લેવા જતા આરોપીનો ફોન બંધ આવતો હોવાની સાથે ઓફિસે તપાસ કરવા જતાં આરોપી હાજર નહિ મળી આવતા તમામ લોકો છેતરાયા હોવાનો અહેસાસ થતા આરોપી વિરુદ્ધ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










