મોરબી સિરામિક એસોસિએશન દ્વારા આઇસગેટ પોર્ટલમાં થયેલી મોટી છેતરપિંડીનો પર્દાફાશ કરી અસરકારક કાર્યવાહી કરનાર પોલીસતંત્રનો જાહેરમાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અંગે જણાવ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જેમાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનું બોગસ ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબરનો દુરુપયોગ કરી ભારત સરકારના આઇસગેટ પોર્ટલ પર ખોટી રીતે યુઝર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ ખોટા યુઝર આઇડીના માધ્યમથી સરકાર તરફથી આઇસગેટ સ્કીમ અંતર્ગત મળેલ રોડટેપ સ્ક્રિપ્ટ નં.29 (કિંમત રૂ.71,45,66)ની છેતરપિંડી કરવામાં આવી હતી. ઉક્ત ગુનાની ગંભીરતા ધ્યાને લઈ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોરબીને સોંપવામાં આવી હતી. તપાસ દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર દ્વારા અલગ-અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રૂ.41,81,680ની રકમ રિકવર કરવામાં આવી હતી. નામદાર કોર્ટના હુકમ અનુસાર આજે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત રિકવર કરાયેલ રકમ ફરીયાદીને પરત આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી બદલ મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવડિયા અને હરેશભાઈ બોપલીયા દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલને રૂબરૂ મળીને મોરબી સિરામિક પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સમગ્ર પોલીસતંત્રનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.









