મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની મોરબી જિલ્લા દ્વારા આજે તા. 25 ડિસેમ્બરના રોજ સાંજે 4 કલાકે નીલકંઠ સ્કૂલ, રવાપર રોડ પરના રાણી નાઇકા દેવી કેન્દ્રમાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તુલસી માતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
તુલસી માતા માત્ર છોડ નથી, પરંતુ સાત્વિકતા, પવિત્રતા અને ભક્તિનું જીવંત સ્વરૂપ છે. શાસ્ત્રોમાં તેમને લક્ષ્મીજીનું સ્વરૂપ અને વિષ્ણુ ભગવાનની અતિપ્રિય માનવામાં આવ્યા છે. તુલસી માતાનું ઘણું ધાર્મિક મહત્વ પણ છે. જેમાં જ્યાં તુલસી હોય ત્યાં નકારાત્મકતા પ્રવેશતી નથી. તુલસી પૂજાથી ઘરમા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વિષ્ણુજીને તુલસી વિના ભોગ અર્પણ અધૂરો ગણાય છે. તુલસી પાનથી કરેલી પૂજા અનેક પુણ્ય સમાન માનવામાં આવે છે.
આધ્યાત્મિક અને આયુર્વેદિક મહત્વ સમજાવતા જણાવવામાં આવ્યું હતું કે, તુલસી મનને શાંત કરે છે અને સકારાત્મક વિચાર વધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. વાતાવરણને શુદ્ધ કરીને આરોગ્યપ્રદ બનાવે છે. લોકવિશ્વાસ અને સંસ્કાર અનુસાર, તુલસી પાસે દીવો કરવાથી દુઃખ-કષ્ટ દૂર થાય છે. તુલસી માતાની પરિક્રમા કરવાથી પાપ નાશ થાય છે. જીવનના અંત સમયે તુલસી પાન મોંમાં મુકવું મોક્ષપ્રદ માનવામાં આવે છે.











