મોરબી : મોરબીના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે આગામી 4 જાન્યુઆરી, 2026ના રોજ રવિવારના દિવસે સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સ્વ. વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ. દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગથી યોજાશે. સમગ્ર ગુજરાતની અગ્રણી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાય છે.
તા. 4-1-2026ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન યોજાનાર આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જરૂરી જણાયેલા દર્દીઓને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું, સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથેનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
સંસ્થા દ્વારા દર્દીઓ માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો તેમજ ઓપરેશન પછીના ચશ્મા, ટીપાં વગેરે સહિતની તમામ સુવિધાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકિંગની જરૂર નથી, પરંતુ તપાસ માટે દર્દીએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 51 કેમ્પમાં અત્યાર સુધીમાં કુલ 14403 લોકોએ લાભ લીધો છે, જેમાંથી 6543 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા છે. વધુ માહિતી માટે ગિરીશભાઈ ઘેલાણી (9825082468), હરીશભાઈ રાજા (9879218415), નિર્મિતભાઇ કક્કડ (9998880588) તેમજ અનિલભાઈ સોમૈયા (8511060066) સહિતના સંસ્થાના સભ્યોનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.








