ભારતીય આરોગ્ય વ્યવસ્થાની ગોષ્ઠી અને તમામ પથીના તબીબો સાથે સકારાત્મક સંવાદ કરાયો
મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમી, સંવત 1925માં થઈ હતી અને વર્ષ 2025માં સંઘે પોતાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. આ શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય આરોગ્ય વ્યવસ્થાની ગોષ્ઠી અને તમામ પથીના તબીબો સાથે સકારાત્મક સંવાદ માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થાના સુસંસ્ક્રુત વિકાસમાં તબીબોની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને જ્યારે વૈશ્વિક સ્તરે મોરબીની આગવી ઓળખ છે ત્યારે તબીબી ક્ષેત્રમાં પણ સુસંસ્ક્રુત વિકાસ થાય અને નિરામય રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક અને મોરબીના જાણીતા સર્જન ડો.જ્યંતિભાઈ ભાડેસિઆ દ્વારા “Health and Nation building: legacy of Dr. Hedgewar to the modern Indian medical fraternity” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. RSSના મોરબી જિલ્લાના બૌધિક પ્રમુખ અને પીજીવીસીએલ જેટકોના એન્જિનિયર જીતેન્દ્રભાઈ વિરમગામા દ્વારા “પંચ પરિવર્તન” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર ભારત દેશ માટે આરોગ્ય ક્ષેત્રમાં ગૌરવ લઈ શકાય અને ભારતની આરોગ્ય ક્ષેત્રે ઓળખ વધુ મજબૂત બને તે માટે તબીબો સાથે વિષયોને આધારે વિચાર વિમર્શ ખુબજ ઉપયોગી બની રહેશે. આ હેતુસર GMERS મેડિકલ કોલેજ મોરબીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 50 થી વધુ અલગ અલગ શાખાના તબીબોએ પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રસ્તાવના એન.એમ.ઓ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ડો.વિજય ગઢિયા દ્વારા રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા એન.એમ.ઓ મોરબી યુનિટના પ્રમુખ ડો. હિરેન સંઘાણી, મંત્રી ડો. વનરાજસિંહ, આઇ.એમ.એ.ના પ્રમુખ ડો.સુષ્મા દુધરેજીયા, મંત્રી ડો. દિપ ભાડજા તથા આયુર્વેદ, હોમીયોપેથી એસોસિએશનના પદાધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન ડો. નિરજ બિશ્વાસ અને ફેકલ્ટી, સ્ટાફ, મેડિકલના વિદ્યાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ અંતે આભાર દર્શન ડો. દિપક અઘારાએ કર્યું હતું અને વંદે માતરમ્ નું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અલ્પાહાર કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.











