મનપાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે કર્મચારીઓ માટે ચિંતન શિબિર યોજાઈ
આગામી વર્ષમાં નાગરિકોને કેવી રીતે સારી સુવિધા આપી શકાય તે સહિતના મુદ્દે ચર્ચા કરાઈ
મોરબી : મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ એક વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજ રોજ તારીખ 3 જાન્યુઆરી ને શનિવારના રોજ મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચિંતન શિબિર અંગે માહિતી આપતાં કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિર અંતર્ગત આજે સવારે 8-30 થી 9-30 સુધી દરેક કર્મચારીઓ માટે યોગા સેશનનું આયોજન કરાયું હતું. યોગા બાદ સૌએ સાથે હેલ્થી બ્રેકફાસ્ટ કર્યો હતો. ત્યારબાદ મ્યુનિસિપલ ગવર્નન્સના પાંચ ટોપિક ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાની ટીમને પાંચ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને પાંચ અલગ અલગ ટોપિક ઉપર ચર્ચા કરવામાં આવી છે. જેમાં સમસ્યાઓ અને તેનું સમાધાન અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લાંબા ગાળાનું આયોજન, મ્યુનિસિપલ ગવર્નન્સ, મ્યુનિસિપલ ફાઈનાન્સ જેવા અલગ અલગ ટોપિકમાં પ્રજાને કેન્દ્ર સ્થાને રાખીને પ્રજાની સુખાકારી માટેની કામગીરી કેવી રીતે વધારી શકાય તે ઉદ્દેશ સાથે ચર્ચા કરાઈ છે. રાજ્ય સરકારની ચિંતન શિબિરમાંથી ઘણા સૂચનોના પરિપત્ર પણ થયા છે અને નાગરિકોની સુવિધા પણ વધી છે. તેથી અમારો ઉદ્દેશ પણ છે કે આજના ચિંતનથી જે પણ સારા સૂચનો આવે તેનો નાગરિકોની સુખાકારી માટે અમલ કરી શકીએ.
આ ચિંતન શિબિરમાં જોડાયેલા મોરબી મહાનગરપાલિકાના કર્મચારીએ જણાવ્યું હતું કે, કમિશનર, નાયબ કમિશનર અને શાખા અધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજાયેલી ચિંતન શિબિરમાં વિવિધ ટોપિક પર ચિંતન કરવામાં આવ્યું છે. આ ચિંતન બાદ જે પણ નિષ્કર્ષ નીકળશે તેને આગામી વર્ષમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા કેવી રીતે અમલી કરી શકાય તે અંગે ચર્ચા કરાઈ છે. સાથે જ કર્મચારીઓને કેવી કેવી મુશ્કેલી પડશે તેની પણ વિગતવાર ચર્ચા કરાઈ છે અને તેનું નિરાકરણ લાવવા માટે પણ ચર્ચા થઈ હતી. સાથે જ આગામી વર્ષમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની કેવી રીતે સારી સુવિધા પૂરી પાડી શકાય તે અંગે ચિંતન કરવામાં આવ્યું હતું.











